અગ્નિકાંડ પછી સરકાર સફાળી જાગી: નિયમમાં ફેરફાર કર્યો, હવે એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન માટે બે પ્રકારના સર્ટિફિકેટ લેવા જરૂરી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan28052024_092844_22.jpg)
- 28 May, 2024
રાજકોટ શહેરમાં થયેલા અગ્નિકાંડ પછીથી રાજ્ય સરકાર સફાળી જાગી છે. સરકારે એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમઝોન, બોટિંગ અને રોપ-વેની પરવાનગી માટે નવા નિયમો બનાવવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન માટે 2 પ્રકારના સર્ટિફિકેટ લેવા જરૂરી હશે. આ સિવાય બધા જ યુનિટોએ પ્રાથમિક અને કાયમી એમ બે સર્ટિફિકેટો લેવા જરૂરી હશે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગમાં 33 લોકોના મોત થયા હતા.
આ સિવાય કાયમી અને હંગામ બાંધકામ માટે પણ અલગ-અલગ સર્ટિફિકેટ લેવા ફરજિયાત હશે. નવી વેબસાઈટનું ગૃહ, મહેસૂલ, ટાઉન સહિતનાં વિભાગોની વેબસાઈટ સાથે જોડાણ પણ હશે. તમામ યુનિટોની ઓનલાઈન મંજૂરી, સ્થળ તપાસ અને સર્ટિફિકેટને વેબસાઈટ પર અધિકારીઓ જોઈ શકશે. આ તમામ કામગીરી એક મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે.
રાજકોટના ટીઆરપી મોલમાં લાગેલી આગમાં બાળકો-મહિલાઓ સહીતના 33 લોકોના કમકમાટીપૂર્ણ મૃત્યુ થયા બાદથી સરકાર જાણે સફાળી જાગી છે. આગ લાગી તે દિવસથી જ રાજ્યના તમામ ગેમઝોનને બંધ કરી દેવાયા છે. તેમજ ફાયર બ્રિગેડની તેમજ પોલીસ સહીતના તંત્રની મંજૂરી છે કે કેમ તેની તપાસ ચાલુ થઈ ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર અને તંત્રને ફટકાર લગાવી છે. આ સ્થિતિમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સત્તાવાર નિવાસસ્થાને સોમવારે મહત્વની બેઠક મળી હતી.
સીએમ બંગલે મળેલી બેઠકમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી સહીતના અનેક ટોચના અધિકારીઓ-મંત્રીઓ હાજર રહ્યા હતા. સમગ્ર દેશમાં આગકાંડે હાહાકાર મચાવ્યા બાદ તાત્કાલી રીતે કેટલાક અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકાયા છે. હજુ આગામી દિવસોમાં વધુ કડક પગલા લેવાશેએ પણ નિશ્ચિત છે.
રાજ્યના તમામ મહાનગરોમા આવેલા ગેમઝોનની તપાસ પૂર્ણ થઇ છે. રાજ્યના 8 મહાનગરોમાં કુલ 101 ગેમઝોનની તપાસનો રીપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો છે. 101 ગેમઝોન પૈકી 20 ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે, અને 81 ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાવાયા છે. સૌથી વધુ અમદાવાદ શહેરમા 34 ગેમઝોન પૈકી પાંચ સીલ કરી દેવાયા છે અને 29 ગેમઝોન હંગામી ધોરણે બંધ કરાવાયા છે. રાજકોટ શહેરમા 12 ગેમ ઝોન પૈકી 8 સીલ કરાયા છે, તો 4 હંગામી ધોરણે બંધ કરાયા છે.